સંઘમાં દ્વારકા જતાં જયદીપનું મૃત્યુ થયું,રણુજા સંઘમાં બાદલે જયદીપના દાદાને ઓળખી લીધા
બાવળાના રાસમનો જયદીપ 13 માર્ચ 2014એ મૃત્યુ પામ્યો, એ જ તારીખે પેટલાદના સુંદરણામાં બાદલ જન્મ્યો
આણંદ: પેટલાદ તાલુકા સુંદરણા ગામની ઘટનાએ પુનર્જન્મ અને જોગાનુજોગ વચ્ચે પાતળી ભેદરેખા સર્જી છે. મહેશ સોલંકીના 4 વર્ષના પુત્ર બાદલને તેનો પૂર્વજન્મ યાદ આવ્યો છે. મહેશભાઈ પરિવાર સાથે સપ્ટેમ્બરમાં રણુજા પદયાત્રા સંધમાં ગયા હતા ત્યારે હજારો માણસોની વચ્ચે અગાઉના જન્મના દાદાને ઓળખી લીધા હતા. વાત એવી છે કે બાવળા તાલુકાના રાસમ ગામના ભરતભાઈ નાનુભાઈ ઠાકોરના પુત્ર જયદીપનું 13 માર્ચ, 2014એ મૃત્યુ થયું હતું અને એ જ દિવસે સુંદરણામાં બાદલનો જન્મ થયો હોવાનું પરિવારનું કહેવું છે. બાદલના પિતા મહેશભાઈ કહે છે કે, બાદલને એક વાર તાવ આવ્યો અને દાદાને મળવાની જીદ કરતાં અમારો પરિવાર તેને રાસમ લઈ ગયા હતા. બાદલ જયદીપના ઘરને જોતો જ રહી ગયો હતો અને એ પરિવાર સાથે એવો હળીમળી ગયો હતો.
તબીબી વિજ્ઞાનમાં પુનર્જન્મ થતો નથી
પ્રેગ્નેન્સીનાં પાંચ અઠવાડિયાં બાદ ગર્ભમાં રહેલા શિશુના હાર્ટ બીટ શરૂ થઇ જાય છે. આથી પ્રેગ્નેન્સી પુરવાર થાય છે અને જો તેને ધાર્મિકની સાથે તબીબી દૃષ્ટિએ જોઇએ તો તે જ વખતે ગર્ભમાં રહેલા શિશુમાં રહેલા જીવ કે આત્મા આવ્યો હોવાનું માની શકાય. ઉપરોક્ત ઘટનામાં વર્ણવેલે પુનર્જન્મનો બનાવ 21મી સદીમાં શક્ય નથી. આ વાત તબીબી વિજ્ઞાન સાચું માનવા તૈયાર નથી - ડૉ. સંજયભાઇ બ્રહ્મભટ્ટ, હિમાલયા હોસ્પિટલ
પુનર્જન્મ એક જાતનો ભ્રમ હોઈ શકે
નાના બાળકો મોબાઇલ ફોનમાં બધું જોતા હોય છે. ત્યાંથી આવું કશું જાણવા મળ્યું હોય કે પુનર્જન્મની વાતોની સ્મૃતિમાં સચવાયેલી હોય તો એ ફિલિંગ ઊભી થાય છે. તે વિષયે સતત વિચારે તો ઇમેજ ઊભી થાય છે. પુનર્જન્મ એ એક જાતનો ભ્રમ છે. આધુનિક યુગમાં પુનર્જન્મ શક્ય નથી. માનવીના મગજમાં અનેક છૂપી શક્તિઓ પડેલી છે.- ડૉ. એસ. એમ. મકવાણા, વડા, સાયોકોલોજી વિભાગ, સ. પ. યુનિવર્સિટી
જયદીપના ફોટા જોઈ આશ્ચર્ય થયું
બાદલનાં માતા સંગીતાબહેન સોલંકીના જણાવ્યા અનુસાર, બાદલની પૂર્વજન્મની વાત પર શરૂઆત અમારા પરિવારે ઓછું ધ્યાન આપ્યું હતું. પરંતુ જ્યારે અમે જયદીપના ઘરે ગયા અને જયદીપની તસવીરો જોઈ તો માલૂમ પડ્યું કે, દેખાવમાં પણ બંને એકસરખા છે. અમને પણ જયદીપના ફોટા જોઈને આશ્ચર્ય થયું હતું.
જયદીપના પરિવાર સાથે હળીમળી ગયો
બાદલે જીદ કરતાં અમે તેને રાસમ લઈ ગયા. ત્યાં તે જયદીપના પરિવાર સાથે હળીમળી ગયો હતો.-મહેશ સોલંકી, બાદલના પિતા
બાદલે જયદીપની બહેનને ઓળખી
બાદલ ઘરે આવ્યો ત્યારે સૌપ્રથમ કુળદેવીનાં દર્શન કર્યાં. પછી જયદીપની બહેન ભગવતીને પણ ઓળખી લીધી હતી. - ભરત ઠાકોર, જયદીપના પિતા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો